સમગ્ર દુનિયામાં ઓમિક્રોનના કારણે ભય નો માહોલ ઊભો થયો છે ત્યારે આપણા રાજ્યમાં કોરોના વાયરસનો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાઈ ચુક્યો છે, તેમ છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારના ઘરે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો સૌથી મોટો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે.
જામનગરમાં સંક્રમિતના પરિવારજનોની બેદરકારી ટ્યૂશન આવતા બાળકો પર ભારે પડી શકે છે. જેના કારણે આજે તંત્ર એક્શનમાં આવી ગયું છે અને બાળકોની ભાળ મેળવીને તેમના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.
મળતી માહિતી અનુશાર જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુતું ઝડપાયું છે. શહેરમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના ઘરમાં મહિલા ટ્યુશન ચલાવતી હતી. શહેરના વોર્ડ નંબર 12ના કોંગ્રસના કોર્પોરેટરે કમિશ્નર અને આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતા આરોગ્ય વિભાગે ઘરમાં ટ્યુશને જતાં સાત બાળકોને શોધી કાઢ્યા છે. બાળકોને સ્કૂલે ન મોકલવાની પણ તંત્રએ જાણ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત થયા હોવા છતાં બે દિવસ સુધી ટ્યુશન ક્લાસ ચાલુ રહ્યા હતા, અને પાછળથી વોર્ડ નંબર 12ના કોંગ્રસના કોર્પોરેટર જેનબ ખફીએ તંત્રને જગાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને શનિવારે તેમનો રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વધુ બે દર્દીઓ ગઈકાલે સંક્રમિત થયા હતા, તે બંનેના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલ્યા છે.